વર્ષ 2002-03 અને 2003-04 દરમ્યાન સંસ્કૃત ભવનમાં એમ.એ.નો અભ્યાસ કરનાર અને હાલ સુરેન્દ્રનગર ખાતે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત ભવનના પૂર્વ વિદ્યાર્થી મુલતાની જાવેદ આજે स्मरामि भवनं सदा કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને પોતાના સંસ્મરણોને વાગોળીને વર્તમાન વિદ્યાર્થીઓને જીવનઘડતરમાં ઉપયોગી થાય તેવી વાતો સાથે પ્રેરણા આપી હતી. જાવેદના અભ્યાસકાળને બે દાયકા જેટલો સમય વીતી ગયો છે તો પણ આ ભવન સાથે સતત જોડાયેલ રહેલ છે એનું ભવનને ખૂબ ગૌરવ છે. તેમના પત્ની અંજના અને જાવેદ બન્નેએ સંસ્કૃત ભવનના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઉત્તમ મારુ સાથે પણ સંલાપ કર્યો અને ઉત્તમની અનન્ય સિદ્ધિઓ જાણીને ખૂબ આનંદ સાથે તેને અભિનંદન આપ્યા. ભવનના સૌ વિદ્યાર્થીઓથી જ સંસ્કૃત ભવન સમૃદ્ધ છે. વિદ્યાર્થીઓ જ આ ભવનની સાચી મૂડી છે.